નવી દિલ્હીઃ દેશમાં અનલોક-1ની શરૂઆત સાથે જે કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા સાડા પાંચ લાખ સુધી પહોંચવા આવી છે. 1 જુલાઈથી દેશમાં અનલૉક 2ની શરૂઆત થઈ જવા રહી છે, જેને લઈ 30 જૂને મોદી સરકાર ગાઇડલાઇન જાહેર કરી શકે છે.


રિપોર્ટ પ્રમાણે, કન્ટેનમેન્ટ નિયમો વધારે કડક બનાવવામાં આવી શકે છે. કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યોને તેમની રીતે નિયમો બનાવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના એક  વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનલોક-2ને લઈ ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર થઈ શકે છે. જેમાં કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે અને રાજ્ય સરકારને વિશેષ સત્તા પણ આપવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકાર અનલોક-2માં રોજગારની તકો વધારવા પર ભાર મુકી શકે છે. અનલોક-2માં સરકારનું ધ્યાન કુટીર ઉદ્યોગ અને લોકડાઉનમાં પરત ફરેલા સ્થાનિક મજૂરોને રોજગારીના સાધન ઉપલબ્ધ કરાવવા પર હોઈ શકે છે.

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કહ્યું હતું કે, અનલોકના પરિયિડમાં આપણે વધારે સતર્ક રહેવાનું છે. કોવિડ-19ના નિયમોનું પાલન ન કરવાથી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકી શકે છે. ભારતનું ફોક્સ કોરોનાવાયરસને હાર આપવા અને અર્થતંત્રને ફરી પાટા પર લાવવાનું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,459 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,48,318 પર પહોંચી છે અને 16,475 લોકોના મોત થયા છે. 3,21,723 લોકો સાજા થઈ ગયા છે અને 2,10,120 એક્ટિવ કેસ છે.