નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે શનિવારે સાંજે બહાર પાડેલી અનલૉક-4ની ગાઈડલાઈન્સમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવા આદેશ આપ્યો છે પણ નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ અને આઈટીઆઈ વગેરેમાં ટ્રેનિંગ શરૂ કરવા મૂંરી આપી છે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં જાહેરાત કરાઈ છે કે, પીએચ.ડી. અને ટેક્નિકલ તથા પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ લેબોરેટરીમાં કામ માટે કોલેજ જઇ શકશે.

ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, આઈટીઆઈ, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મશિન કે અન્ય મંત્રાલય, ભારત સરકાર કે રાજ્ય સરકારમાં રજિસ્ટર્ડ શોર્ટ ટર્મ ટ્રેઈનિંગ સેન્ટર્સ ખોલી શકાશે. એ જ રીતે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રીન્યોરશીપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેલવપમેન્ટ, ઈન્ડિયન ઈન્સિટ્યુટ ઓફ એન્ટરપ્રીન્યોરશીપ તથા તેમના દ્વારા માન્ય ટ્રેઈનર્સ પણ સેન્ટર ખોલી શકશે. આ મંજૂરી 21 સપ્ટેમ્બરથી માન્ય ગણાશે, ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) અલગથી બહાર પડાશે.

કેન્દ્ર સરકારે શનિવારે સાંજે બહાર પાડેલી અનલૉક-4ની ગાઈડલાઈન્સમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવા આદેશ આપ્યો છે પણ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશો 21 સપ્ટેમ્બરથી કન્ટેઈનમેન્ટ ઝોન બહારની સ્કૂલોને 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને બોલાવવાની મંજૂરી આપવાની સત્તા આપી છે. આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી )અલગથી બહાર પડાશે.

આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી જ ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સ્વૈચ્છિક રીતે વાલીઓની લેખિત મંજૂરી લઈને કન્ટેઈનમેન્ટ ઝોનની બહારની સ્કૂલમાં શિક્ષકને મળવા જઈ શકશે. આ મુલાકાત સ્વૈચ્છિક રહેશે અને કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓને એ માટે ફરજ નહં પાડી શકે. સામાન્ય નિયમ પ્રમાણે સ્કૂલ-કોલેજ, કોચિંગ સેન્ટર 30 સપ્ટેમ્બર સુધી બંધ જ રહેશે. કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ઓનલાઈન/ દૂરથી જ શિક્ષણને મંજૂરી અપાશે અને તેને પ્રોત્સાહિત પણ કરાશે.