મોદી સરકાર ‘અનલોક 4’માં લગ્નમાં ગમે એટલા મહેમાનોને બોલાવવાની આપશે છૂટ પણ પાળવી પડશે કઈ શરત ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Aug 2020 02:10 PM (IST)
અનલોક 4 જાહેર થયા પછી લોકો પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશે અને ઇચ્છે તેટલા મહેમાનોને બોલાવી શકશે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં વધારે છૂટછાટો આપીને અનલોક 4 જાહેર કરવાની તૈયારીમાં લાગી છે. અનલોક 4 દરમિયાન શું છૂટ મળશે તેની અટકળો ચાલી રહી છે ત્યારે એક ટોચના હિન્દી અખબારના અહેવાલ પ્રમાણે અનલોક 4 દરમિયાન હવે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવશે. આ અહેવાલ પ્રમાણે અનલોક 4 જાહેર થયા પછી લોકો પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશે અને ઇચ્છે તેટલા મહેમાનોને બોલાવી શકશે. જો કે તેને માટે એ શરત લાગુ કરાશે કે, જેટલા મહેમાનોને નિમંત્રણ અપાયું હોય તેનાથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે. ટૂંકમાં લગ્ન માટે બુક કરાવેલા કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. મતલબ કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરો તો તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ. અલબત્ત ખુલ્લામાં કરાતા લગ્ન અંગે શું નિયમ લાગુ પડશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.