નવી દિલ્હીઃ અનલોક-3 31 ઓગસ્ટના રોજ પૂરું થઈ રહ્યું છે. આ દરમિયાન શનિવાર સાંજે સરકારે અનલોક-4ને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે મુજબ મેટ્રો રેલને 7 સપ્ટેમ્બરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મેટ્રોને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સ્કૂલ કોલેજો હજુ બંધ રહેશે. લોકડાઉનની જાહેરાત બાદથી જ મેટ્રો સેવાઓ બંધ હતી.


ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારની સલાહ લીધા વગર રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈપણ સ્થાનિક લોકડાઉન લાદી નહીં શકે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સિસ્ટમ અંતર્ગત મેટ્રો સેવા ફરીથી શરૂ કરાશે. આ માટે એક સિસ્ટમ બનશે. ઉપરાંત ઓપન એર થિયેટર્સને 21 સપ્ટેમ્બર 2020થી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટસ, એન્ટરટેનમેન્ટ, પોલિટિકલ ફંકશનમાં 21 સપ્ટેમ્બરથી 100 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, આંતરરાષ્ટ્રીય ઉડાન (વિશેષ મામલાને બાદ કરતાં) હાલ બંધ રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. 9 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ 21 સપ્ટેમ્બર બાદ સ્કૂલ જઈ શકશે. 21 સપ્ટેમ્બરથી ટેક્નિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ (જેમાં લેબ કે પ્રેક્ટિકલની જરૂર છે) વાળા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અને પીએચડીના સ્ટુડન્ટ્સ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખોલી શકાશે.