UP Local Body Election : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો અને માફિયા રાજ વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી ભાજપને ફળી છે. ઉત્તર પ્રદેશની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે નવો ઈતિહાસ રચ્યો છે. ટ્રિપલ એન્જિનના નારા સાથે ચૂંટણી લડનાર ભાજપે 17 મહાનગરપાલિકાના મેયર પદ પર ભગવો લહેરાવ્યો છે. ભાજપે અનેક મહાનગરપાલિકાઓના કોર્પોરેટર પદો પર પણ જંગી જીત મેળવી છે અને પૂર્ણ બહુમતી મેળવી છે. યુપીની 'સ્થાનિક સરકાર'માં આ જીતથી જ્યાં મિશન લોકસભા માટે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે. સાથે જ પાર્ટીને ભવિષ્યની રણનીતિને આગળ વધારવામાં પણ સફળતા મળશે.


2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે યુપીમાં 16 મ્યુનિસિપલ કોર્પોરેશન સીટો હતી, જેમાંથી ભાજપે 14 પર જીત મેળવી હતી. બસપાએ મેરઠ, અલીગઢ કબજે કર્યું હતું. આ વખતે શાહજહાંપુર નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. ભાજપની વ્યૂહરચના જૂની બેઠકો પર વ્યૂહરચના જાળવી રાખીને કોઈપણ રીતે શાહજહાંપુર માટે જીતની ફોર્મ્યુલા શોધવાની હતી. હંમેશની જેમ માઇક્રો-મેનેજિંગ કરતી વખતે પાર્ટીએ યોગી સરકારના મંત્રીઓ અને પદાધિકારીઓને અલગથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કાઉન્સિલની જવાબદારી સોંપી હતી.


ભાજપે કેવી રણનીતિ બનાવી?


શરૂઆતથી જ દરેક બેઠકના જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપની રણનીતિ અલગ-અલગ નક્કી કરવામાં આવી હતી. અગાઉ જીતેલી 14 બેઠકો પર વ્યુહરચના તૈયાર કરવામાં આવી હતી. ક્યાંથી કયો ઉમેદવાર ભારે પડી શકે છે? એ બાબતને ધ્યાનમાં રાખીને, બેઠકોમાં નક્કી કરવામાં આવી હતી કે કઈ પ્રકારની રણનીતિ હશે. ભાજપની એક વ્યૂહરચના અન્ય પક્ષોના પ્રભાવશાળી નેતાઓ અને ખાસ કરીને વિજેતા ઉમેદવારોને જીતવાની હતી.


પસમંદા મુસ્લિમો પર ભરોસો કામ કરી ગયો


આ વખતે ભાજપે મુસ્લિમો ખાસ કરીને પસમંદા મુસ્લિમો પર પણ દાવ લગાવ્યો હતો. વિવિધ સ્થળોએ નગરપાલિકા અને નગર પંચાયતમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પક્ષની છબી અને સર્વસ્વીકૃતિ જણાવવા માટે આ એક પગલું ખૌબ જ અસરકારક સાબિત થયું. આ સાથે આગામી સમયમાં ભાજપની રણનીતિનો પણ સંકેત આપ્યો હતો. શહેરોની ચૂંટણીમાં ઘણી જગ્યાએ શહેરી શિક્ષિત મુસ્લિમ યુવાનો પણ ભાજપ તરફ જતા જોવા મળ્યા હતા. જો કે, મતોના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરવાનું બાકી છે.


સીએમ યોગીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો


શાહજહાંપુરમાં બીજેપી જીત તો મેળવી જ છે સાથો સાથ તેણે બસપા પાસેથી અલીગઢ અને મેરઠ સીટો છીનવી લીધી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લીન સ્વીપ કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણી પ્રચાર સભાઓએ પાર્ટીની રણનીતિમાં મોટી ભૂમિકા ભજવી હતી. રણનીતિના ભાગરૂપે યોગીએ આ ચૂંટણીને સીધો કાયદો અને વ્યવસ્થા સાથે જોડી દીધો. સ્થાનિક મુદ્દાઓને બદલે ભાજપના પ્રચાર અને યુપીના સીએમ યોગીના ભાષણોમાં વારંવાર કાયદો અને વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


માફિયારાજના અંત પર ચૂંટણી


પ્રયાગરાજની સભામાં ચોપાઈઓના માધ્યમથી યોગીનો સંદેશ હતો કે, જે જેવું કર્મ કરશે તેવું જ તેને ફળ મળશે. પોલીસ કસ્ટડીમાં અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ પાર્ટીએ આ ઘટનાને માફિયા અને ગુનેગારોના ખાત્મા સાથે જોડી દીધી. જો કે, એ પણ યોગાનુયોગ છે કે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક અને તમામ મંત્રીઓ કાયદો અને વ્યવસ્થાના નામે વોટ માંગી રહ્યા હતા, ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ચૂંટણીમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો હતો.


વિપક્ષ ઉંધે કાંધ


જો કે, એવું માનવામાં આવે છે કે, યુપીના શહેરી મતદારો પર ભાજપની પકડ પહેલેથી જ મજબૂત છે, પરંતુ વર્તમાનમાં મોંઘવારી, બેરોજગારી જેવા વિરોધ પક્ષોના મુદ્દાઓ વચ્ચે,ભાજપના રણનીતિકારોએ યુપીમાં શહેરી બોડીની ચૂંટણીઓમાં જે રણનીતિ ઘડી તેની સામે વિરોધ પક્ષો તો હરીફાઈની સ્થિતિમાં દૂર દૂર સુધી ક્યાંય દેખાતા જ નહોતા.


હવે યુપીમાં ટ્રિપલ એન્જિનની સરકાર


જો આપણે 2024ની વ્યૂહરચના અને પડકારના દૃષ્ટિકોણથી શહેરી સંસ્થાઓની ચૂંટણીઓ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં હવે ટ્રિપલ એન્જિનની સરકાર છે. ભાજપે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ કબજે કરી લીધી છે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં જનતાની અપેક્ષા પણ ત્રણ ગણી વધી જશે. જો કે આજે જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હારનો સ્વાદ ચાખ્યો છે. જેથી ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો સાથે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું ભાજપ માટે નવો પડકાર હશે.