લખનઉઃ કોરોના મહામારી વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોગી કેબિનેટે આજે કોરોના વોરિયર્સને લઈ વટહુકમ પાસ કરી દીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વામાં ઉત્તરપ્રદેશ લોક સ્વાસ્થ્ય અને મહામારી રોગ નિયંત્રણ વટહુકમ 2020માં સ્વાસ્થ્ય સફાઈ તથા સુરક્ષા કર્મીને લઈ કડક કાયદા બનાવવામાં આવ્યા છે.


યૂપીમાં જો કોઈ કોરના દર્દી જાણી જોઈને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરશે તો તેને એકથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. ક્વોરન્ટીન સેન્ટરમાંથી ભાગનારાને પણ આટલી સજા અને એક લાખ રૂપિયાનો દંડ લાગી શકે છે.

નવા કાયદા મુજબ, સ્વાસ્થ્ય કર્મીઓ, તમામ પેરા મેડિકલ કર્મચારીઓ, પોલીસકર્મી અને સ્વચ્છતા કર્મીની સાથે તંત્ર દ્વારા તૈનાત કોઈપણ કોરોના વોરિયર્સ સાથે અભદ્રતા કે હુમલો કરવા પર છ મહિનાથી લઈ સાત સાલ સુધી જેલની જોગવાઈ છે. એટલું જ નહીં 50 હજારથી લઈ 5 લાખ સુધીનો દંડ પણ લાગી શકે છે.

ડોક્ટરો, સફાઈકર્મી, પોલીસકર્મી કે કોઈપણ કોરોના વોરિયર્સ પર થૂંકવા કે ગંદકી ફેલાવવા તથા આઈસોલેશન તોડવા પર આ કાનૂન અંતર્ગત કાર્યવાહી થશે. કોરોના વોરિયર્સ સામે ટોળાને ઉશ્કેરવા કે ભડકાવવા પર પણ આ અંતર્ગત કડક કાર્યવાહી થશે. આ માટે બે થી પાંચ વર્ષ સુધીની સજા અને 50 હજારથી 2 લાખ રૂપિયા સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત જો કોઈ કોરોના દર્દી સ્વયં પોતાની જાતને છૂપાવશે તો એક વર્ષથી લઈ ત્રણ વર્ષની સજા થઈ શકે છે અને 50 હજારથી એક લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.