લખનઉ : ઉત્તરપ્રદેશમાં શિયા વકફ બોર્ડે તમામ મદરેસાઓને કહ્યું કે, તેઓ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે સાથે જ ત્રિરંગો ફરકાવે અને રાષ્ટ્રગીત બાદ ભારત માતા કી જયનો ઉદ્ધોષ કરે. શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ મદરેસાને આદેશના હવાલાથી કહ્યું કે, બોર્ડ હેઠળ ચાલી રહેલ તમામ મદરેસાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.


બોર્ડે ચેતવણી આપી છે કે, આદેશનું પાલન નહી કરનારા મદરેસાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રિઝવીએ કહ્યું કે વકફની સંપત્તિઓ પર પ્રદેશમાં 1500 મદરેસાઓ અને શાળાઓ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ સરકારે પણ શું આ પ્રકારનો આદેશ ઇશ્યું કર્યો છે, આ સવાલ અંગે રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ કોઇ સીધો જવાબ આપવાનું ટાળતા કહ્યું કે, જે ભારત વર્ષમાં પેદા થયા છે, તેમણે ભારત માતા કી જય બોલવાનું જ છે.

લક્ષ્મી નારાયણ ચૌધરીએ જણાવ્યું કે,અમે આદેશ ઇશ્યું કર્યો છે કે 15 ઓગષ્ટે ત્રિરંગા ફરકાવવામાં આવે. સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પીત કરવામાં આવે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શહીદોની શહાદત અંગે જણાવવામાં આવે અને વૃક્ષારોપણ કરવામાં આવે.