લખનઉઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે યોગી આદિત્યનાથ સરકારે આખા રાજ્યમા પાન-મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે પાન-મસાલાના ઉત્પાદન અને વેચાણ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પાન-મસાલાનું મોટા પાયે ઉત્પાદન થાય છે. જેમાં કાનપુર અને નોઇડા મહત્વના શહેરો છે.


ઉત્તર પ્રદેશ સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કહ્યુ હતું કે, મુખ્યમંત્રી આદિત્યનાથે આદેશ આપ્યો હતો  કે ગુટખા, પાન મસાલા અને પાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. લોકો ગુટખા અને પાન મસાલા ખાઇને સરકારી ઓફિસો, બજારો, સાર્વજનિક સ્થળો પર થૂંકે છે. જેનાથી ગંદગી ફેલાય છે અને આવા સમયે કોરોના ફેલાવવાનો ખતરો વધી જાય છે.

નોંધનીય છે કે યોગી આદિત્યનાથ 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેમણે રાજ્યમાં પાન-મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ બાદમાં ધીરે ધીરે પાન-ગુટખાનું વેચાણ શરૂ થઇ ગયું હતું.