PPE કિટથી લઇને થર્મોમીટરની ખરીદીમાં પણ કૌભાંડ, યોગી સરકારે તપાસ માટે બનાવી SIT
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Sep 2020 10:11 PM (IST)
કોરોનાના સંકટમાં રાજ્યમાં કેટલાક અધિકારીઓ સંકટને અવસરમાં ફેરવવામાં લાગી ગયા છે. જરૂરી ચીજવસ્તુઓની ખરીદીના નામે કરોડોનો ખેલ કરી રહ્યા છે
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલમાં 24 કલાકમાં રાજ્યમાં સાત હજારથી પણ વધુ નવા કેસ આવી રહ્યા છે. કોરોનાના સંકટમાં રાજ્યમાં કેટલાક અધિકારીઓ સંકટને અવસરમાં ફેરવવામાં લાગી ગયા છે. જરૂરી ચીજવસ્તુઓની ખરીદીના નામે કરોડોનો ખેલ કરી રહ્યા છે. ઓક્સીમીટર અને થર્મોમીટર પાંચ ગણા ભાવે ખરીદી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાંથી આ અંગેની ફરિયાદ મળી હતી. બાદમાં તપાસ કરતા ગરબડ હોવાની માહિતી મળતા અનેક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, આ કૌભાંડનું મુખ્યમંત્રી ઓફિસ સાથે કનેક્શન છે. આ આરોપ બાદ યોગી આદિત્યનાથે આ અંગેની તપાસ માટે એક એસઆઇટી બનાવી દીધી હતી. મુખ્યમંત્રીએ એસઆઇટીને દસ દિવસની અંદર તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. તપાસના દાયરામાં અનેક જિલ્લાના ડીએમ અને સીનિયર આઇએએસ અધિકારીઓ છે. યોગી સરકારે અધિક મુખ્ય સચિવ રેણુકા કુમારને એસઆઇટીના ચીફ બનાવ્યા છે. તેમની છબિ ઇમાનદાર અધિકારીની છે. જ્યારે તબીબી શિક્ષણ વિભાગના સચિવ અમિત ગુપ્તા, નગર વિકાસ મંત્રાલયના સચિવ વિકાસ ગોઠલવાલને સભ્ય બનાવામાં આવ્યા છે.