જોશીમઠ: ઉત્તરાખંડના જોશીમઠમાં રેણી નજીક ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી સર્જાઈ છે. રેણીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર તૂટ્યો છે. અનેક મકાનો સાથે લોકો તણાયાની આશંકા છે. પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તપોવનમાં પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે.  ઉત્તરાખંડમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. 150 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે.


ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે જણાવ્યું કે, ચમોલી જિલ્લામાં પૂરથી 100થી 150 લોકોને જાનહાનિ થવાની આશંકા છે.

અચાનક ડેમ તૂટવાના કારણ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 150 લોકો લાપતા થવાના સમાચાર છે. અત્યાર સુધી બે મૃતદેહ મળી આવ્યા છે. જોશીમઠ અને તપોવનના વિસ્તારમાં આવેલા ઘરોને ખાલી કરવામામાં આવી રહ્યાં છે.


ચમોલી જિલ્લાના તપોવન ક્ષેત્રના રેણી ગામમાં એક પાવર પ્રોજેક્ટ પાસે અચાનક હિમસ્ખલન બાદ ધૌલીગંગા નંદીમાં જળ સ્તર વધી ગયું છે. ચમોલી જિલ્લાધિકારીએ ધૌલીગંગા નદી કિનારે વસેલા ગામમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપી દીધો છે. પોલીસ અધીક્ષક અને જિલ્લા અધિકારી ઘટનાસ્થળે જવા રવાના થયા છે.



ચમોલી પોલીસે જણાવ્યું કે, ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગા પ્રોજેક્ટને મોટુ નુકસાન થયું છે. અલકનંદા નદી કિનારે રહેતા લોકોને તાત્કાલિક સલમાત સ્થળે જવાની સૂચના આપી દેવામાં આવી છે.



આઈટીબીપીએ પણ નિવેદન જાહેર કરીને કહ્યું કે, રેણી ગામ પાસે ધૌલીગંગામાં પૂર આવી છે. જળસ્તર વધી જવાથી નદી કિનારે આવેલા ઘરો નષ્ટ થઈ ગયા છે. જાનહાનીની સંખ્યા વધવાના આશંકા છે. બચાવ માટે મોટી સંખ્યામાં આઈટીબીપીના જવાનો પહોંચી ગયા છે.