દેહરૂાદૂન: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં કેટલાક રાજ્યો અને શહેરોમાં બીજી વખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ લોકડાઉન શનિવાર અને રવિવારે લાગૂ પડશે. તેને લઈને ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતે શુક્રવારે તેની જાહેરાત કરી હતી.


ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે ઉત્તરાખંડમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા પ્રદેશની સરહદો સીલ કરવી અને શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ અને સ્વાસ્થ્ય સચિવ સાથે બેઠક દરમિયાન તેમને આ વિશે વિચાર કરવા કહ્યું છે.

આ દરમિયાન મુખ્યમંત્રી રાવતે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણ રોકવાના દરેક પ્રયાસ પર ગંભીરતાથી વિચાર કરતા આવશ્યક પગલા ઉઠાવવામાં આવે. જરૂર જણાય તો રાજ્યની સરહદો સીલ કરવાની સાથે પૂરા પ્રદેશમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન કરવા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે.

મુખ્યમંત્રી રાવતે એમ પણ કહ્યું કે જે લોકોનું હોટલમાં બુકિંગ છે, તેમની કેટલીક શરતો સાથે આવવાની છૂટ મળશે અને જરૂરી કામથી ઉત્તરાખંડ આવતા લોકોને આવવાની મંજૂરી મળશે.

ઉત્તરાખંડમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 11 જુલાઈએ 45 કેસ નોંધાયા હતા, પરંતુ 12 જુલાઈના 120, 13 જુલાઈના 71, 14 જુલાઈના 78, 15 જુલાઈના 104 અને 16 જુલાઈના દિવસે સૌથી વધુ 199 કેસ સામે આવ્યા હતા.