Gyanvapi Masjid News: કાશી વિશ્વનાથ (Kashi Vishwanath)મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) મામલે વારાણસી કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કમિશનરની નિમણૂક કરવા કોર્ટે આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, નિયુક્ત કમિશનર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની મુલાકાત લેશે અને વીડિયોગ્રાફી પણ કરશે. આ દરમિયાન કોર્ટે મંદિર મસ્જિદ પરિસરમાં સુરક્ષા દળો તૈનાત કરવાનો આદેશ કર્યો છે. અરજદારે કોર્ટ પાસે પરિસરની તપાસ, રડાર સ્ટડી અને વિડિયોગ્રાફી માટેનો આદેશ માંગ્યો હતો. તમને જણાવી દઈએ કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે સપ્ટેમ્બર 2020માં દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો છે.


જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) વારાણસી (Varanasi) માં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી છે. અત્યારે મુસ્લિમ સમુદાય દિવસમાં પાંચ વખત સામૂહિક રીતે નમાજ અદા કરે છે. મસ્જિદનું સંચાલન અંજુમન-એ-ઇન્ત્રાઝિયા કમિટી દ્વારા કરવામાં આવે છે. 


વર્ષ 1991માં વારાણસીના સિવિલ જજની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) આવેલી છે, ત્યાં પહેલા વિશ્વેશ્વરનું મંદિર હતું અને ગૌરીની શ્રૃંગાર પૂજા થતી હતી. મુઘલ શાસકોએ આ મંદિરને તોડીને કબજો જમાવ્યો હતો અને અહીં મસ્જિદ બનાવી હતી. આવી સ્થિતિમાં, જ્ઞાનવાપી સંકુલને મુસ્લિમ બાજુથી ખાલી કરીને હિંદુઓને સોંપવું જોઈએ અને તેમને ગૌરીની શ્રૃંગાર  પૂજા કરવાની છૂટ આપવી જોઈએ.


કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ સાથે કોઈ વિવાદ નથી
અત્રે એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જ્ઞાનવાપી મસ્જિદનો કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) મંદિર ટ્રસ્ટ સાથે કોઈ વિવાદ નથી. મંદિર ટ્રસ્ટ આ સમગ્ર મામલામાં ક્યાંય પણ પક્ષકાર નથી કે તેણે ક્યાંય પણ અરજી કરી નથી. સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વર પક્ષ છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ત્રીજા પક્ષકાર તરીકે કોર્ટની લડાઈ લડી રહ્યો છે.