નવી દિલ્હીઃ પશ્ચિમ રેલવેએ એક આરટીઆઈના જવાબમાં કહ્યું છે કે, તેણે પોતાના પરિસરમાં પેસ્ટ કન્ટ્રોલ(ઊંદર મારવાની દવા)નો છંટકાવ કરવા માટે ત્રણ વર્ષમાં 1,52,41,689 (એટલે કે દોઢ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે.


પશ્ચિમ રેલવે ભારતીય રેલવેનું સૌથી નાનું જોન છે જે મુખ્ય રીતે પશ્ચિમ ભારતથી ઉત્તર ભારતને જોડવાની રેલવેનું સંચાલન કરે છે. રેલવેએ આ આરટીઆઈના જવાબમાં કહ્યું કે, તેણે ત્રણ વર્ષમાં 1,52,41,689 રપિયા ખર્ચ કર્યા અને આ ખર્ચમાં માત્ર 5,457 ઊંદર મારવામાં આવ્યા છે. એટલે કે રોજ પાંચ ઊંદર મારવા માટે પશ્ચિમ રેલવેએ 14 હજાર રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. છે ને ભ્રષ્ટાચાર આચરવાની નવી રીત !



પશ્ચિમ રેલવે ભારતીય રેલવેનું સૌથી નાનું એકમ ગણાય છે. નાનકડા એકમમાં આવી આસમાની સુલતાની હોય તો મોટા એકમોમાં કેવી પરિસ્થિતિ હશે એની કલ્પના કરવા જેવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દર ભાકરે આ મામલે હાસ્યાસ્પદ દલીલ આપી હતી. તેમણે કહ્યું કે, પેસ્ટ કન્ટ્રોલના ખર્ચ સાથે માર્યા ગયેલા ઊંદરની સરખામણી કરવી યોગ્ય નથી. તમારે એ જોવું જોઇએ કે છેલ્લાં બે વર્ષમાં તાર કપાવાથી સિગ્નલ કામ કરતાં બંધ થઇ જવાની તકલીફમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો એટલે અકસ્માતો પણ ઘટ્યા હતા.

રેલવેની ઑફિસ, રેલવે યાર્ડ અને રેલવે કોચ (કમ્પાર્ટમેન્ટ્સ )માં જીવજંતુ અટકાવવા રેલવે પ્રતિષ્ઠિત પેસ્ટ કન્ટ્રોલ કંપનીઓની સેવા લે છે. આવી કંપનીઓ રેલવેની સંપત્તિમાં વિવિધ રસાયણો દ્વારા જીવજંતુ પર કાબુ મેળવવાની કામગીરી કરે છે.