નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કારણે લદાયેલું લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી નથી લેવાયું અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અનલોક પ્રક્રિયા હેઠળ લોકડાઉનમાં ક્રમશઃ છૂટછાટો આપી રહી છે. મોદી સરકાર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વાર લોકડાઉનને હળવા કરવાના નિયમો અનલોક 1, અનલોક 2 અને અનલોક 3 હેઠળ જાહેર કરાયા છે.


જો કે કોરોનાના વધતા કેસોના કારણે કેટલાંક રાજ્યોમાં હજુ લોકડાઉન છે અને આકરા નિયંત્રણો લદાયેલાં છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વનો આદેશ આપીને લોકો અને માલસામાનના આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધો નહીં મૂકવા માટે બધા જ રાજ્યોને જણાવ્યું છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લોકો તથા માલ-સામાનના પરિવહન પર વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સૃથાનિક સ્તરે મૂકાયેલા નિયંત્રણો દૂર કરવા નિર્દેશો આપ્યા છે.

ભલ્લાએ જણાવ્યું હતું કે, સ્થાથાનિક તંત્ર દ્વારા માલ-સામાનના પરિવહન પર મુકાતા નિયંત્રણોથી માલ-સામાન અને સેવાની પુરવઠા ચેઈન ખોરવાઈ રહી છે અને તેનાથી આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારીને મોટો ફટકો પડી રહ્યો છે. આ સંજોગોમાં આંતરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકવો નહીં. આ ઉપરાંત અનલૉક 3ની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, પડોશી દેશો સાથે સંધિ હેઠળ સરહદ પારના વેપાર માટે માલ-સામાનના પરિવહન માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ-પરમીટની જરૂર નથી.