નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાશ્મીર સમસ્યાના ઉકેલની દિશામાં આ મોટું કદમ છે ત્યારે હવે પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડી શું કરે છે તેના પર સૌની નજર છે.


રાજકીય સૂત્રોના મતે મોદી-શાહની જોડીનું હવે પછીનું લક્ષ્ય કાશ્મીરે પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાનું છે. પાકિસ્તાને 1847માં કાશ્મીર પર આક્રમણ કરીને ત્રીજા ભાગના કાશ્મીર પર કબજો કરી લીધો હતો. આ કાશ્મીર પર અત્યારે પાકિસ્તાનનો કબજો છે અને અમિત શાહ-મોદીનું લક્ષ્ય આ પ્રદેશ પાછું મેળવવાનું છે.



પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને કબજે કરવા ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડે અને એ માટે મોદી-શાહની જોડી તૈયાર હોવાનું રાજકીય પંડિતો માને છે. આ કાર્યવાહી રાતોરાત ના થાય અને તે માટે જોરદાર તૈયારી કરવી પડે તેથી તેમાં સમય લાગશે.



અલબત્ત મોદી-શાહની જોડી જે રીતે આગળ વધી રહી છે એ જોતાં મોદી સરકારના પાંચ વર્ષની બીજી ટર્મમાં આ કાર્ય પૂરું કરી દેશે એવું લાગે છે. પીઓકે પર ભારતનો કબજો થઈ જાય તો સંપૂર્ણ કાશ્મીર ભારતના કબજામાં આવી જાય એ જોતાં મોદી-શાહનું હવે પછીનું મિશન એ જ હોવું જોઈએ.