India Government Calls It Questionable: ભારતે કોરોનાથી થયેલા મોતની ગણતરી કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)દ્વારા ઉપયોગમાં લેવાતા ગાણિતિક મોડેલને નકારી કાઢ્યું છે. ભારતે કહ્યું છે કે, આ આંકડો વાસ્તવિક આંકડાઓથી સંપૂર્ણપણે અલગ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOના ખંડનમાં કહ્યું છે કે, ભારત દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. આરોગ્ય મંત્રાલયે WHOની ડેટા કલેક્શન સિસ્ટમને આંકડાકીય રીતે અયોગ્ય અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ ગણાવી છે.


WHOએ કેટલાં મોત ગણ્યાં?
આ પહેલાં WHOએ ભારતમાં જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે કોરોનાથી થયેલા મોતના આંકડા જાહેર કર્યા હતા. WHOના આંકડા મુજબ જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં 47 લાખ લોકોનાં કોવિડથી મોત થયા છે. WHOએ જાહેર કરેલ આ આંકડો ભારતના સત્તાવાર કોરોના મોતના આંકડા કરતાં 10 ગણો વધુ અને વૈશ્વિક સ્તરે થયેલા મોતનો ત્રીજો ભાગ છે. આ આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં કોવિડને કારણે કુલ 1.5 કરોડ લોકોનાં મોત થયા છે. અને WHOના આ કુલ મોતનો આંકડો કોરોનાથી થયેલા મોતના સત્તાવાર આંકડા 60 લાખ મોત કરતાં બમણાથી વધુ છે.


ભારતનો આ છે આંકડોઃ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં આ સમય (જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે) માં કોવિડને કારણે 520,000 લોકોના મોત નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, WHOએ જે કહ્યું છે કે મોતના આ આંકડા મીડિયા રિપોર્ટ્સ, વેબસાઈટ અને ગાણિતિક મોડલ દ્વારા ભારતીય રાજ્યોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે તેની સામે ભારતે WHOના એ નિવેદન પર સતત સવાલો ઉઠાવ્યા છે.


WHOની સિસ્ટમ ખરાબ છેઃ
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના કેસમાં ઉચ્ચ મૃત્યુદરનો અંદાજ કાઢવા માટે ડેટા એકત્ર કરવાની સિસ્ટમ ખૂબ જ નબળી અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ પદ્ધતિ દર્શાવે છે. મંત્રાલયે કહ્યું કે, આ મોડલ પર ભારતનો વાંધો હોવા છતાં, ડબ્લ્યુએચઓએ ભારતના વાંધાઓ પર ધ્યાન આપ્યા વિના આ અંદાજ જાહેર કર્યો છે.


આ છે WHOનું અનુમાનઃ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અંદાજ મુજબ છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાયરસ અથવા આરોગ્ય પ્રણાલી પર તેની અસરોને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશો દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર આ 6 મિલિયન મૃત્યુ કરતાં બમણા કરતાં વધુ છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે.


ભારતે આ પણ જણાવ્યુંઃ
ભારતે WHO ને એ પણ જણાવ્યું હતું કે, ભારત માટે વધારાના મૃત્યુના આંકડાઓ મેળવવા માટે ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાય છે, ભારતીય રજિસ્ટ્રાર જનરલ (RGI) દ્વારા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અધિકૃત ડેટાની ઉપલબ્ધતાને જોતાં આવું ન કરવું જોઈએ. ભારતમાં જન્મ અને મૃત્યુની નોંધણી અત્યંત મજબૂત છે અને તે દાયકાઓ જૂના વૈધાનિક કાયદાકીય માળખા "જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969" દ્વારા સંચાલિત છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, નાગરિક નોંધણી ડેટા તેમજ RGI દ્વારા વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવતા નમૂના નોંધણી ડેટાનો ઉપયોગ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે.