કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે 5મી તારીખે સમગ્ર દેશમાં જીમ અને યોગા ઇન્સ્ટિટ્યૂટ ખુલવા જઈ રહ્યા છે. જેને લઈને સરકારે એક ગાઈડલાઇન જારી કરી છે. આ ગાઈડલાઈનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગા ઈન્સ્ટિટ્યૂટ નહીં ખોલવામાં આવે. જ્યારે જે વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા નથી ત્યાં જ ખોલી શકાશે.


આ ઉપરાંત સરકારે કેટલાક ચોક્કસ નિયમોનું કડક પાલન કરાવવા પણ દરેક રાજ્યોને કહ્યું છે. જેમ કે સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. આ સાથે જ 65 વર્ષથી વધુ વયના કે જેમને અન્ય બિમારીઓ પણ હોય તેઓ તેમજ ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી વયના બાળકો વગેરે અતી ગીચ વિસ્તારમાં આવેલા જીમનો ઉપયોગ ન કરવો. 25મી માર્ચે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે જીમ અને યોગા ઇન્સ્ટિટ્યૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

લોકડાઉન બાદ આવતીકાલથી પહેલીવાર આ બન્ને સ્થળોને ખોલવામાં આવ્યા છે. સરકાર દ્વારા અનલોક-3 જાહેર કરવામાં આવ્યું તેના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. યોગા ઇન્સ્ટિટ્યૂટ અને જિમ્નેશિયમ પર થર્મલ સ્ક્રિનિંગ તેમજ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવે તેવા આદેશ અપાયા છે.

જીમમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે તેથી કસરત કરતી વખતે માસ્ક પહેરીને કાર્ડિયો જેવી એક્સરસાઈઝ કેમ કરવી તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, આવા પ્રકારની એક્સસાઈઝમાં વાઈઝરનો ઉપયોગ કરી શકાય.

આ સાથે દરેક જિમ સંચાલકો અને મેમ્બરે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક વ્યક્તિનું પલ્સ ઓક્સિમિટરની મદદથી ઓક્સિજન ચકાસવામાં આવશે અને 95 ટકાથી ઓછું હોય તેમને જીમમાં પ્રવેશ આપવો નહીં કે કસરત કરાવવી નહીં. ઓક્સિજનનું આ પ્રમાણ આવે તો હોસ્પિટલમાં પણ જાણ કરવી.

લાઈનમાં છ ફુટનું અંતર ફરજીયાત રાખવાનું રહેશે. યોગા ઈન્સ્ટિટયૂટમાં ચપ્પલ અને જુતાને બહાર કાઢ્યા બાદ જ પ્રવેશ આપવો અને જો શક્ય હોય તો દરેક વ્યક્તિએ પોતાના જુતા અલગ પોતાની રીતે જ અલગ જગ્યાએ ગોઠવી રાખે. દરેકના નામ અને સરનામા સાથે એન્ટ્રી વખતે નોંધણી કરવાની રહેશે. કોઈ પણ વસ્તુનો કસરત માટે ઉપયોગ કરતાં પહેલા હાથને સેનિટાઈઝ કરવાના રહેશે. યોગાને ખુલ્લી જગ્યામાં જ કરવા તેવી સલાહ આપવામાં આવી છે.