નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોનાના વધતા કેસો પર આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે, હવે દિલ્હીની હોસ્પિટલમાં તમામની સારવાર થશે. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે, 31 જૂલાઇ સુધીમાં દિલ્હીમાં 1.5 લાખ બેડની જરૂર પડશે.


કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 31 હજાર કેસ આવ્યા છે. જેમાંથી કુલ 12 હજાર સ્વસ્થ થઇ ચૂક્યા છે. 18 હજાર એક્ટિવ કેસમાં 15 હજાર લોકો હોમ આઇસોલેશનમાં છે. દિલ્હીમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 900થી વધુના મોત થયા છે.

તેમણે કહ્યુ કે, દિલ્હીમાં કોરોના ઝડપથી ફેલાશે. 15 જૂન સુધી અહી 44 હજાર કેસ હશે. જ્યારે 15 જૂલાઇ સુધીમાં સવા બે લાખ કેસ આવશે. 31 જૂલાઇ સુધી પાંચ લાખથી વધુ કેસ હશે. દિલ્હીમાં 31 જૂલાઇ સુધી દોઢ લાખ બેડની જરૂર પડશે.

કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીમાં એક ચૂંટાયેલી સરકારના નિર્ણય બદલ્યા છે. હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. તો આ સમય અસહમતિનો નથી. ઉપરાજ્યપાલના આદેશને લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર સાથે કોઇ લડાઇ નથી. દિલ્હીમાં હવે તમામની સારવાર થશે. અહી 50 ટકા બહારના લોકો સારવાર કરાવે છે.