નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેથી ઘણાં રાજ્યોએ ફરી લોકડાઉન લાદવાની દાહેરાત કરી છે. તેના કારણે  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ ફરી લોકડાઉન લાદવા વિચારી રહી હોવાની લાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે પણ કેન્દ્ર સરકારે આ અટકળોને ખોટી ગણાવી છે. બિહારમાં 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાતના પગલે આ અટકળ તેજ બની છે.


કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે મંગળવારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે, દેશમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એ વાતો ખોટી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉનની જરૂર નથી. ભૂષણે કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોનાના કેસો વધે તો માઈક્રો લોકડાઉન લાદવાના અધિકાર આપ્યા છે. તેનો ઉપયોગ કરીને કેટલાંક રાજ્યો લોકડાઉન લાદી રહ્યાં છે પણ સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન લાદવાની કોઈ જરૂર નથી.

આરોગ્ય મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી છે કે, કોઈ રાજ્યને કોઈ વિસ્તારમાં, ગામમાં કે શહેરમાં કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉન લાદવાની જરૂર લાગે તો માઈક્રો લોકડાઉન લાદવાના અધિકાર કેન્દ્ર સરકારે આપેલા જ છે ને તેનો ઉપયોગ ઘણાં રાજ્યોએ કર્યો છે.