નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસ વિતેલા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે બ્રિટેનમાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે, ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. એવામાં બધાનમાં મનમાં એક જ સવાલ છે કે શું કોરોના રસી આ નવા પ્રકારના વાયરસ વિરૂદ્ધ કામ કરશે? હવે ભારતમાં સરકારે આ સવાલનો જવાબ આપ્યો છે.


સરકારે કહ્યું કે, બ્રિટેનમાં નવા સ્વૂરપના કોરોના વાયરસને લઈને ચિંતા કરવાની કે ગભરાવાની કોઈ જરૂરત નથી. ભારતમાં હજુ સુધી આ પ્રકારનો વાયરસ જોવા મળઅયો નથી અને તેના સ્વરૂપમાં કોઈ મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો નથી. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી કે પોલે કહ્યું કે, બ્રિટેનમાં મળેલ કોરોના વાયરસના નવા પ્રકારથી રસીના ડેવલપમેન્ટ પર કોઈ અસર નહીં પડે.

ગભરાવાની કોઈ જરૂરત નથી- સરકાર

પોલે કહ્યું, ‘અત્યાર સુધી ઉપલબ્ધ આંકડા, વિશ્લેષણના આધારે કહી શકાય કે ગભરાવાની કોઈ વાત નથી, પરંતુ સાવચેત રહેવું પડશે. આપણે બધાના સહિયારા પ્રયત્નથી આ પડકારનો સામનો કરવો પડશે.’ તેમણે કહ્યું કે, વાયરસના સ્વરૂપમાં ફેરફારને ધ્યાનમાં રાખીને સારવારને લઈને દિશા નિર્દેશમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ખાસ કરીને દેશમાં તૈયાર કરવામાં આવેલ રસી પર તેનાથી કોઈ અસર નહીં પડે.

પોલે કહ્યું કે, સ્વરૂપમાં ફેરફારથી વાયરસ વધારે સંક્રમિત હોઈ શકે છે. તે ઝડપથી ચેપ ફેલાવી શકે છે. તેમણે કહ્યું, ‘એવું પણ કહેવાય છે કે આ વાયરસ 70 ગણો વધારે ચેપ ફેલાવે છે. એક રીતે કહી શકાય કે, આ સુપર સ્પ્રેડર છે પરંતુ તેનાથી મૃત્યુ, હોસ્પિટલમાં દાખલ થવાથી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધતું નથી. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે આ ઝડપથી લોકોને ચેપ લગાડે છે.