નવી દિલ્હી :ભારે દબાણ અને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પાકિસ્તાને આખરે રાત્રે 9:20 વાગ્યે ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપ્યા હતા. અટારી બોર્ડર પર ભારતીય એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ અને બીએસએફએ પાયલટ અભિનંદને રિસીવ કર્યા હતા. પાકિસ્તાનના કલાકો સુધી દસ્તાવેજી પ્રક્રિયા કરવાના કારણે અભિનંદનને ભારત આવવા પર મોડું થયું હતું. વાઘા બોર્ડર પર અભિનંદનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોમાં અભિનંદનના દેશમાં પ્રવેશ પર ઉત્સાહ જોવા મળ્યો હતો.


અભિનંદનને લેવા માટે સિનિયર અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા હતા. સેનાની 4 ગાડીઓ વાઘા બોર્ડર પહોંચી હતી. અભિનંદનનો પરિવાર પણ વાઘા બોર્ડર પર હાજર રહ્યો હતો. અભિનંદન પાકિસ્તાનની પરત આવ્યા બાદ પહેલા અમૃતસર જશે. ત્યાર બાદ વાયુસેનાના વિમાનમાં દિલ્હી આવશે.



ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને જૈશના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારપછી પાકિસ્તાને પણ એ સ્ટ્રાઈકનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને ખદેડી મૂક્યાં હતા. આ દરમિયાન ભારતનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરમાં સુરક્ષીત ઉતરી ગયા હતા. ત્યારપછી પાકિસ્તાન આર્મીએ તેમને બંધક બનાવી દીધા હતા.