નામ લીધા વિના OICમાં સુષ્માએ પાકિસ્તાનને લીધુ આડેહાથે, કહ્યું- કેટલાક દેશ આતંકવાદને પોષે છે, પૈસા આપે છે
abpasmita.in | 01 Mar 2019 02:01 PM (IST)
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ OICના અધિવેશનમાં ભાગ લેવા સાઉદી અરબ પહોંચી છે. અહીં સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં આતંકવાદના મુદ્દાને ઉઠાવીને પાકિસ્તાનને બેનકાબ કરી દીધુ છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે OICની બેઠકમાં નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યુ, કહ્યું- 'આતંકવાદનો વિસ્તાર વધી રહ્યો છે, જે કેટલીય જિંદગીઓને તબાહ કરી રહ્યું છે. આતંકવાદને પોષનારા દેશને આ વાત સમજવી પડશે.' સુષ્માએ કહ્યું કે, 'અમારા દેશમાં હિન્દુ અને મુસ્લિમ સૌહાર્દથી સાથે રહે છે. જોકે એવા લોકો બહુજ ઓછા છે જે કટ્ટરવાદના ચૂંગાલમાં ફસાઇ ગયા છે. આતંકવાદ માત્ર ધર્મને ખતમ કરવાનું કામ કરે છે. આતંકવાદ સામેની લડાઇ કોઇ ધર્મ વિશેષ સામે નથી. અલ્લાહના 99 નામોમાંથી કોઇનો અર્થ હિંસા નથી.' નોંધનીય છે કે, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન 56 ઇસ્લામી અને મુસ્લિમ રાષ્ટ્રોનું સૌથી મોટુ સંગઠન છે. IOCનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક રાષ્ટ્રોને સહયોગ અને પ્રોત્સાહિત કરવાનો છે. આ ઓર્ગેનાઇઝેશનનુ હેડક્વાર્ટર જેદ્દા, (સાઉદી અરબ)માં આવેલું છે. આ ઓર્ગેનાઇઝેશને આ વખતે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને સ્પેશ્યલ અતિથિ તરીકે નિમંત્રણ આપ્યુ છે.