લખનઉઃ યોગી સરકારના પ્રથમ મંત્રી મંડળ વિસ્તરણમાં પેટાચૂંટણી અને 2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને ક્ષેત્રીય અને જાતિગત સમીકરણને સાધવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં મુખ્યમંત્રીએ યુવાઓ અને નવા લોકોને મંત્રીમંડળમાં સામેલ કરીને સત્તા પર વાપસી કરવાની ઝલક જોવા મળે છે. યોગીએ પ્રથમ વિસ્તરણમાં લગભગ તમામ ક્ષેત્રોના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.


આ દરમિયાન 11 ધારાસભ્યોને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુક્લા, ગિર્રાજસિંહ ધર્મેશ, લાખનસિંહ રાજપૂત, નીલિમા કટિયાર, ચૌધરી ઉદયભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય, રામશંકર સિંહ પટેલ, અજિત સિંહ પાલ અને વિજય કશ્યપનો સમાવેશ થાય છે.





પશ્વિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી કપિલ દેવ અગ્રવાલ અને ચરથાવલથી ધારાસભ્ય વિજય કશ્યપ, બુલંદશહેરથી અનિલ શર્મા, મૈનપુરીથી રામનરેશ અગ્નિહોત્રીનો મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. તે સિવાય કાનપુરથી નીલિમા કટિયારને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી રવિન્દ્ર જયસવાલને મંત્રી બનાવ્યા છે. આ સાથે વારાણસીથી યોગી સરકારમાં ત્રણ મંત્રી થઇ ગયા છે. જેમાં શહેર ઉત્તરથી બે વખત ધારાસભ્ય બનેલા ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર જાયસ્વાલ રાજ્યમંત્રી બનાવાયા છે તો રાજ્ય મંત્રી રહેલા અનિલ રાજભરને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. યોગી સરકારના 23 મંત્રીઓમાંથી 6 બ્રાહ્મણ, બે ક્ષત્રીય, બે જાટ, એક ગુર્જર, ત્રણ દલિત, બે કુર્મી અને એક રાજભર, એક પાલ,  ત્રણ વૈશ્ય, એક શાક્ય અને એક મલ્લાહનો સમાવેશ થાય છે.