નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું આજે 89 વર્ષની વયે અવસાન થયું હતું. દિલ્હીની એઈમ્સમાં તેમની સારવાર ચાલતી હતી. છેલ્લા ઘણા દિવસોથી તેઓ વેંટિલેટર પર હતા અને આજે સવારે 10.40 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પિતાના અવસાનના સમાચાર મળ્યા તો પણ મીટિંગ ન અટકાવી
સીએમ યોગી આદિત્યનાથે પિતાના નિધનની સૂચના આપવામાં આવી ત્યારે તેઓ કોરોના સંકટ પર બનેલી ટીમ-11 સાથે મીટિંગ કરતા હતા. આ દુઃખદ સમાચાર મળ્યા બાદ પણ તેમને મીટિંગ રોકી નહોતી.

શું લખ્યું પત્રમાં
યોગી તેમના પિતા આનંદ સિંહ બિષ્ટના અંતિમ સંસ્કારમાં પણ સામેલ નહીં થાય. પિતાના નિધન પર સીએમ યોગીએ એક લેટર લખ્યો. જેમાં તેમણે જણાવ્યું, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈના કારણે હું અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં સામેલ નહીં થાઉં. લોકડાઉન બાદ દર્શનાર્થે જઈશ. પિતાજીના સ્વર્ગવાસ પર મને દુઃખ અને શોક છે. તેઓ મારા પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને નિઃસ્વાર્થ ભાવથી લોક કલ્યાણ માટે સમર્પિત ભાવ સાથે કાર્ય કરવાની સંસ્કાર બાળપણમાં તેમણે આપ્યા હતા. અંતિમ ક્ષણોમાં તેમના દર્શનની હાર્દિક ઈચ્છા હતી.
તેમણે લેટરમાં આગળ લખ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે દેશની લડાઈને ઉત્તરપ્રદેશની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધારવાના કર્તવ્યબોધના કારણે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકું. હું તમામ સભ્યોને અપીલ કરું છું કે લોકડાઉનનું પાલન કરીને ઓછામાં ઓછા લોકો અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહે. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટિ-કોટિ નમન કરીને તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

યોગીના પિતા ઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વરના પંચૂર ગામના રહેવાસી હતી. યોગી બાળપણમાં પરિવાર છોડીને ગોરખપુરના મહંત પાસે આવી ગયા હતા. તેના પિતાને ઘણા લાંબા સમયથી લીવર અને કિડનીની સમસ્યા હતા. ડોક્ટરોએ તેમનું ડાયાલિસીસ પણ કર્યુ હતું.

પૌડીમાં તબિયત ખરાબ થયા બાદ તેમને જોલીગ્રાંટની હિમાલયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબિયતમાં સુધારો નહીં થતાં એર એમ્બ્યુલન્સથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. યોગીના પિતા ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેંજર હતા અને 1991માં નિવૃત્ત થયા હતા.