જામનગર: ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને દેશમાં ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ચીનમાં પણ કોરોનાએ ફરી માથું ઉચકતા ઘણી જગ્યાએ આકરા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશની રાજઘાની દિલ્હીમાં પણ કોરોનાના પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં ફરી માસ્કને લઈને નિયમો કડક કરવામાં આવી રહ્યા છે.


હવે વાત કરીએ ગુજરાતની તો જામનગર શહેરમાં લાંબા સમય બાદ બે કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છે. આ નોંધાયેલ કેસો પૈકી એક બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. 5 વર્ષીય બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે જયારે અન્ય એક કેસ પોઝીટીવ છે.


આ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો


કોરોના વાયરસનો ભય ફરી એકવાર પાછો ફરતો જોવા મળી રહ્યો છે. લગભગ એક મહિના પહેલા, જ્યાં તેના દર્દીઓ આવવાનું લગભગ બંધ થઈ ગયું હતું, હવે ફરીથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા દર્દીઓ ઝડપથી મળી રહ્યા છે અને તેનાથી ફરી એકવાર લોકોની ચિંતા વધી ગઈ છે. દિલ્હીમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.


4 મહિનાનું બાળક ગંભીર હાલતમાં


દિલ્હીની LNJP હોસ્પિટલમાં 7 કોરોના દર્દીઓ દાખલ છે, જેમાંથી બે બાળકો છે. રિપોર્ટ અનુસાર, આમાં એક બાળક માત્ર 4 મહિનાનો છે. તેમની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે અને ડોક્ટરોએ તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂક્યા છે. તો બીજી તરફ બાળકોમાં વધી રહેલા સંક્રમણ પર હોસ્પિટલના ડોક્ટર સુરેશનું કહેવું છે કે, કોરોના સંક્રમણ એવા બાળકોને થઈ રહ્યું છે જેમને પહેલાથી જ કેટલીક બીમારીઓ છે.


માતાપિતા રસી નહીં લે તો બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે


દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાથી પીડિત 4 મહિનાના બાળકના પિતા પણ હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાની રસી દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો માતાપિતાએ રસી ન લીધી હોય અથવા બંને ડોઝ ન લીધા હોય, તો બાળકો માટે જોખમ હોઈ શકે છે.


દિલ્હીમાં 24 કલાકમાં 965 પોઝિટિવ દર્દીઓ મળ્યા


છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 965 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. સકારાત્મકતા દરની વાત કરીએ તો હવે તે 4.71 ટકા થઈ ગયો છે. આ સાથે, દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને લગભગ 3000 થઈ ગઈ છે, જ્યારે 1 દર્દીનું મૃત્યુ પણ થયું છે. આ વખતે ખતરો બાળકો પર વધુ છે.