જામનગર: જામનગર શહેરમાં 3600 ચો.મીટર વિસ્તારમાં અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. 15 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.


મુખ્યમંત્રીએ આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ઇતિહાસ તથા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજીતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.

રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિમમાં આધુનિક ટેકનોલોજી જેમાં 3D Projection, Holography, Augmented Reality, Sensor Based Sound Mapping, Elegant & Attractive Lighting System વગેરે થી દેશના રમત-ગમમત ક્ષેત્રની ગૌરવગાથાની પ્રસ્તુતિથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.