Rain Forecast: આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ક્યાય પહોચી ગયો છે, ત્યારે પણ ધાર્મિક પરંપરાઓને આજે કેટલાય લોકો અનુસરી રહ્યા છે, ત્યારે આવી જ એક પરંપરા આજથી નહીં પણ દાયકાઓથી જામનગર નજીક આમરા ગામે શરુ થયેલ જે આજે આજ દિવસ સુધી ચાલતી આવે છે. શું આ છે ખાસ પરમ્પરા અને જેનાથી નક્કી થાય કે વરસાદ કેવો રહેશે જોઈએ આ અહેવાલમાં.




અમે વાત કરી રહ્યા છીએ જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ આમરા ગામની. જામનગર નજીકના આ ‘આમરા’ ગામમાં રોટલાથી વરસાદનો વરતારો કરવાની પરંપરા આજથી નહિ પરંતુ દાયકાઓથી ચાલી આવતી હોવાનું ગામના સ્થાનિકો જણાવે છે, મનમાં સવાલ ઊભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય ? પણ ના, આ ગામના લોકો માટે આ પરંપરામાં પણ એક અનોખો વિશ્વાસ સમાયેલો છે, દર વર્ષ અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે આમરા ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી અને વર્ષ કેવું જશે તે નક્કી કરવામાં આવે છે.




ખેતી પ્રધાન દેશમાં મોટાભાગના ગામડાના ખેડૂતો સહિતના સ્થાનિકો અહી વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરે છે, આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. કુવા કાઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવાનો અનોખો રીવાજ આ ગામમાં છે.અને આજે પણ આ પરંપરાને ગામ લોકોએ જાળવી હતી




દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનો આ વિધિ સાથે જોડાયેલા ગ્રામજનોનો દાવો છે.