જામનગર: સેનામાં ભરતીને લઈને કેન્દ્ર સરકારે જ્યારથી અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે ત્યાંરથી દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાએ ટ્રેનો પણ સળગાવવામાં આવી છે. તો હવે આ વિવાદ વચ્ચે શાંત રહેલા ગુજરાતમાં પણ તેના પડઘા પડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે જામનગર ખાતે સેનામાં ભરતી થવા ઈચ્છુક યુવાનો એકઠા થયા હતા. તેઓ આર્મીની લેખિત પરિક્ષા પુરી કરવા માગ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં લેવાયેલ 2021ની પરીક્ષા પૂર્ણ કરવાની માગ કરી રહ્યા છે.
 
નોંધનિય છે કે, ત્રણ ત્રણ વખત પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંતે આર્મી દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા આર્મીમાં ભરતી થવા માગતા યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. જો કે, અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પરિસ્થિતિ વણશે તે પહેલા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં છાવણીમાં ફેરવી દીધો છે.એસપી પ્રેમ સુખ ડેલું પણ સ્થળ પર પહોંચ્યા છે. આ ઉપરાંત આર્મીના અધિકારી થોડીવારમાં જવાનોને મળવા બહાર આવશે તેવી માહિતી સામે આવી છે.


અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, અસમ રાઇફલ્સમાં અગ્નિવીરોને 10 ટકા અનામત


નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. બિહારના જહાનાબાદમાં ત્રીજા દિવસે હંગામો થયો હતો. ટોળાએ ટ્રકને આગ ચાંપી દીધી છે. તાજેતરની માહિતી અનુસાર, લોકોએ બસોને પણ સળગાવી દીધી છે. બિહારમાં આ યોજનાના વિરોધમાં આજે બંધની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે. જેમાં ડાબેરીઓ તેમજ મહાગઠબંધનના પક્ષોએ વિદ્યાર્થી સંગઠનોને સમર્થન આપ્યું છે.


ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે  CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10 ટકા અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.