Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા શરૂ થઈ છે. પોલીસે ગુરુવારે (5 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે ઘરોમાં આગ લાગી હતી. આ સિવાય આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.


પોલીસે જણાવ્યું કે, આ ઘટના બુધવારે (4 ઓક્ટોબર) રાત્રે લગભગ 10 વાગ્યે પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કિથેલમંબીમાં બની હતી. હુમલા બાદ આરોપી તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અમે ફાયર સર્વિસ સાથે મળીને તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી.


પરિસ્થિતિ શું છે?


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે માહિતી આપી કે, સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ હતી, પરંતુ હવે તે નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના બાદ આ વિસ્તારમાં એકત્ર થયેલી મેઇતી સમુદાયની મહિલાઓને સુરક્ષા દળોએ આગળ વધતા અટકાવી દીધી હતી. આ સિવાય વિસ્તારમાં પરિસ્થિતિને સંભાળવા માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.                    


મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?


મણિપુરમાં મે મહિનાથી હિંસા ચાલુ છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકતા કૂચને પગલે 3 મેના રોજ જાતિ હિંસા ફાટી નીકળી હતી. હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. અનેક લોકોને વિસ્થાપિત પણ થવું પડ્યું હતું. આ સિવાય અનેક લોકોના ઘર બળી ગયા હતા.                                                                                                         


Meitei સમુદાયની વસ્તી મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા છે. તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે. સમગ્ર મામલાને લઈને વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે.