મહેસાણાઃ શહેરના મહેસાણા-રાધનપુર રોડ યુવકની છરીના 6-6 ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હત્યારાઓ યુવકની હત્યા કરીને યુવકની લાશ રીક્ષામાં રાધનપુર રોડ પાસે શક્તિધરા તરફ રસ્તા પર ફેંકીને ફરાર થઇ ગયા છે. બી ડિવિઝન સહિત એલસીબી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક કરણ ઉર્ફે રોહન રાજુભાઇ સોલંકી(ઉં.વ.18) હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


આ અંગેની વિગતો એવી છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કરણની હત્યા તેના જ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનો અને તેના મિત્રોના નિવેદનના આધારે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. મહેસાણા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યામાં ઉપયોગમાં લીધેલી છરી કબ્જે કરી હતી.

આ હત્યા પ્રકરણમાં સામે આવેલી વિગતો પ્રમાણે મહેસાણા 108ને કોઈ જયેશ નામના યુવકે ફોન કર્યો હતો. તેમજ તેને ગુજરાત હાઉસિંગ બોર્ડના રૂમમાં ગોંધી રખાયો હોવાનું અને તેના મિત્રને શક્તિધારા પાસે ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. આ કોલને આધારે 108 ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ મૃતકની માતાને પણ તેણે ફોન કરી યુવાને તેના મિત્રો માર મારતા હોવાની વાત કરી હતી. આથી પોલીસે મોબાઈલ નંબરને આધારે જયેશનો સંપર્ક કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળ નજીકથી સીસીટીવી કબ્જે કરી હત્યારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.