પાલનપુરઃ 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. બનાસડેરીની ચૂંટણીમાં 9 બેઠકો બિનહરીફ રહી છે. હજુ પણ કાંકરેજ, ભાભ, દિયોદર બેઠક બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. જ્યારે પાલનપુર, વડગામ, ડીસા બેઠકો પર ચૂંટણી થઈ શકે છે. પશુ પાલકો ફરી એકવાર શંકર ચૌધરીને બનાસડેરીમાં સત્તારૂઢ કરે તેવી પૂરી શક્યતા છે.


આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ગઈ કાલે છેલ્લો દિવસ હતો. ગઈ કાલે ડીસાથી માવજીભાઈ દેસાઈનું ફોર્મ ભરતી વખતે સાંસદ પરબત પટેલ પણ હાજરી રહ્યા હતા. આ સમયે તેમણે મોટું નિવેદેન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થાય તે માટે પ્રયાસો ચાલુ છે. કોઈ જ વિરોધમાં પેનલ નથી. ફોર્મ ભરાયા બાદ સાથે બેસીને બિનહરીફ થાય તે માટે પ્રયાસો કરીશું.

ગઈ કાલે કાંકરેજ બેઠક પર અણદાભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. આ સમયે શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. બનાસ ડેરીમાં ડિરેક્ટરની ચુંટણી માટે ફોર્મ ભર્યું હતું. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્રે અણદાભાઈ પટેલનું મોટું નામ છે.

અગાઉ રાધનપુર બેઠકથી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદ બેઠકથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ તેમજ પાલનપુર બેઠકથી પરથીભાઇ ભટોળે ઉમેદવારી નોંધાવી છે.