શિહોરીઃ બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાકાંડમાં પોલીસને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને સંપૂર્ણ હત્યાકાંડનો પર્દાફાશ કરી નાંખ્યો છે. ઘરમાં જ દાદી-પૌત્રનું ગળું કાપી નિર્મમ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જેને શિહોરી પોલીસ સહિત ડોગ સ્કોડ  અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓનું પગેરુ શોધી કાઢ્યું હતું અને તેને જેલ હવાલે કરી દીધો હતો. 


આરોપીની સઘન પુછપરછ કરતાં મુકેશ કાનજીભાઈ રાવલે કબૂલાત કરી હતી કે, પોતાની પત્નીને મૃતક સુશીલાબેનનો દીકરો આઠ મહિના પહેલા ભગાડી ગયો હતો. જેનું મનદુઃખ રાખીને આ હત્યા કરી નાંખી હતી. પોલીસે આ કબૂલાતને આધારે આજે બપોરે 1 વાગ્યે આરોપીની અટકાયત કરી હતી.



નોંધનીય છે કે, કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી સુશીલાબેન સાધુ (ઉ.વ. 47)  અને પૌત્ર ધાર્મિક (ઉં.વ.6)ની હત્યા થઈ હોવાની ઘટના બની હતી. ચીરાગભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે ચિરાગભાઈએ તેમની માતા અને પુત્રના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો, પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જ પ્રત્યુતર ન મળતા ચિરાગભાઈએ બાજુમાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરી તેમની માતાને જાણ કરવા જણાવ્યું હતું. 


બાજુમાં રહેતા તેમના સંબંઘી જાણ કરવા જતાં ઘરમાં જતા સુશીલાબેન અને તેમના પૌત્ર ધાર્મિકની હત્યા કરાયેલી લાશ જોવા મળતા જ તેઓ ડઘાઈ ગયા હતા અને તરત જ જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શિહોરીમાં મંદિર પાસે જ ભરચક વિસ્તારમાં દિન-દહાડે દાદી અને પૌત્રનું તિક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી આરોપી ફરાર થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


મુકેશ રાવળની પત્નીને મૃતકના પુત્ર ઉમંગ લઈ આવતા મુકેશ રાવળ વારંવાર ઘેર આવીને મારી નાખવાની ધમકી આપતા હતા. જેને લઇને આ હત્યા થયાનું પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.