થરાદઃ બનાસકાંઠા ગઈ કાલે રાતે વાવાઝોડું ત્રાટક્યું હતું. ગુજરાતમાં તબાહી મચાવનાર તૌકતે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. થરાદના બાલાજી નગર સોસાયટીમાં મોડી રાત્રે વાવાઝોડાના કારણે વીજ ડીપીમાં આગ ફાટી નીકળી હતી. 


ડીપીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સોસાયટીના રહીશો દ્વારા જી. ઈ. બી.માં અને ફાયર ટીમને જાણ કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વીજ ડીપીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી. 


સુરેન્દ્રનગર: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના લીંબડીમાં જર્જરિત મકાનો ધરસાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદને કારણે જુના મકાન અને દીવાલ ધરસાયી થઈ હતી. 


શહેરની સંઘવી શેરી, આઝાદ ચોક , અંકલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ જર્જરીત મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. હજુ પણ અંનેક જર્જરીત મકાનો ધરાશયી થવાની સંભાવના છે.  ભારે પવન અને વરસાદી માહોલમાં મકાન ધરસાયી થયા છે. હાલ  સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં અને ગામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી  વરસાદ પડી રહ્યો છે.


નવસારીમાં બે માળનું મકાન થયું ધરાશાયી, અનેક લોકોના ઘરોના છાપરા પણ ઉડ્યા


નવસારીઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે નવસારીમાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા માછીવાડ ગામમાં આવેલ બે માળનું મકાન ધરાશાયી થયું હતું. ભારે પવન અને વરસાદના કારણે ઘટના બની હતી. જોકે, સદનસીબે તંત્ર દ્વારા રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા કોઈ જાનહાનિ નહીં. વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું. માછીવાડ ગામમાં અનેક લોકોના ઘરોના પતરાં પવનના કારણે ઉડ્યા.


દીવઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી. રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે. હવે સંઘપ્રદેશ દીવમાં પણ વાવાઝોડાને લઈ પેટ્રોલપંપ ક્ષતિગ્રસ્ત થયા છે. પેટ્રોલપંપ ઉપરના રૂફ ઉડી ગયા હતા. 


અમરેલીમાં વાવાઝોડાએ એક બાળકીનો ભોગ લીધો છે. રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. મધરાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે 3ને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.