ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લામાં શિવ મંદિરના પૂજારીની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. 40 વર્ષીય પૂજારી રમેશભારથી ગોસ્વામીની હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પૂજારીની હત્યા તેની જ પત્નીએ કરાવી હોવાનું સામે આવતાં નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે.


આ અંગેની વિગતો એવી છે કે, ધાનેરાના ધરણોદર ગામે શિવ મંદિરના પૂજારી રમેશભારથી ગોસ્વામીની પત્નીને યુવક સાથે આડાસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પતિ બાધારૂપ બનતા પ્રેમી પ્રેમીકાના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 3.50 લાખ રૂપિયાની સોપારી આપીને પ્રેમી પ્રેમીકાના પતિની હત્યા કરાવી નાંખી હતી.

એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૂજારી રમેશભારથી ગોસ્વામીની પાછળ હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવતાં મૃતકના પરિવારને હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો અને લાશ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે, પોલીસ અને આગેવાનોના સમજાવટ બાદ પરિવારે લાશનો કબજો લીધો હતો. આ સમયે પરિવારે તટસ્થ તપાસની કરી માંગણી કરી હતી. જેને પગલે ધાનેરા પોલીસે મંર્ડરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.