અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ ખૂબ જ ઉંચો છે, જેને કારણે નવા કેસો આવવા છતા એક્ટિવ કેસો ખૂબ જ ધીમી ગતિએ વધી રહ્યા છે. એટલું જ નહીં, રાહતની વાત એ છે કે, અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું છે. ત્યારે ગઈ કાલે મહેસાણા જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.


વાત એવી છે કે, ગઈ કાલે રાજ્યમાં 1101 કુલ કેસ નોંધાયા હતા. જેની સામે રાજ્યમાં 972 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે નવા ફક્ત 14 કેસ નોંધાયા હતા. જેની સામે એક સાથે 121 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેને કારણે મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

મહેસાણા જિલ્લામાં હાલ, કોરોનાના કુલ એક્ટિવ કેસો 457 છે. જ્યારે તેની સામે 949 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 26 લોકોના કુલ મોત થયા છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ એક્ટિવ કેસો મહેસાણામાં છે. જોકે, ગઈ કાલે 121 લોકોએ કોરોનાને મ્હાત આપતાં એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.