વિસનગરઃ સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વિસનગરના તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુની છેલ્લા ત્રણ દિવસથી તબિયત વધુ બગડી છે. ગઈ કાલે તેમના ખબર અંતર પૂછવા રબારી સમાજ સહિત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા. બેસતા વર્ષ અને ગુરુ પુર્ણિતમાના દિવસે મહંત બળદેવગીરી બાપુના દર્શને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. મહંત બળદેવગીરી બાપુની તબિયત છેલ્લા એક અઠવાડિયાથી બગડતા અમદાવાદ હોસ્પિટલાઇઝ કરાયા હતા અને જ્યાંથી હાલ તરભ લવાયા છે.


બાપુ બીમાર હોવાના સમાચાર મળતા સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ખબર અંતર પૂછવા દોડી આવ્યા હતા. રવિવારે ધારાસભ્ય ઋષિકેશ પટેલ, નાગજીભાઇ રબારી, લાલભાઇ રબારી, રણછોડભાઇ રબારી સહિત ભાજપના આગેવાનો તેમજ મંગળવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલા, સાગર રાયકા, શૈલેશ રબારી, માનસિંહ ઠાકોર, બાબુભાઇ દેસાઇ સહિતના અગ્રણી પહોંચ્યા હતા.