મહેસાણાઃ પાંચોટ ગામ પાસે કાર તળાવમાં પલટી મારતા એક શિક્ષિકા સહિત ત્રણ શિક્ષકોના મોત થયા છે. ગઈ કાલે મહેસાણાથી રાધનપુરના મોરવાડા ગામે નોકરી અર્થે જતાં દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં મહેસાણાના બાસણા ગામના વિપુલભાઈ ચૌધરી, મહેસાણાના સ્મિતાબેન ચૌધરી અને વિસનગરના આનંદભાઈ શ્રીમાળીના મોત નીપજ્યા હતા.


મોતને ભેટેલા આનંદ શ્રીમાળી વિસનગર કાંસા એનએ સ્થિત શ્યામસુંદર સોસાયટીમાં રહેતા હતા અને તેમના હજુ ગત 10 ડિસેમ્બરના રોજ, હજુ 13 દિવસ પહેલા જ હિંમતનગરની યુવતી સાથે લગ્ન થયા હતા. હજુ મહેંદીનો રંગ પણ ગયો નહોતો ત્યાં પતિના નિધનથી યુવતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે દીકરાના મોતના સમાચાર સાંભળતા અને પુત્રવધૂના આક્રંદથી પરિવાર પણ ગમગીન થઈ ગયો હતો.



ગઈ કાલે ત્રણ-ત્રણ શિક્ષકોના મોતને પગલે પાંચોટ ગામમાં ભારે હાહાકાર મચી ગયો હતો અને લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહેસાણા જિલ્લાના ત્રણ શિક્ષકો ગઈ કાલે વહેલી સવારે મહેસાણાથી પાટણના રાધનપુર તાલુકાના મોરવાડા ગામે નોકરી અર્થે જતા હતા ત્યારે મહેસાણાના પાંચોટ ગામ પાસે અચાનક કારે પલ્ટી મારતા કાર રોડની સાઇટમાં આવેલ તળાવમાં ખાબકી હતી, જેના કારણે એક શિક્ષિકા અને બે શિક્ષક એમ ત્રણ લોકોના મોત થયા છે.



આ ત્રણેય શિક્ષકો સાથે પાટણના રાધનપુર તાલુકાનાં મોરવાડા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા. જેથી એક જ કારમાં ત્રણે સાથે જતાં મહેસાણાના પાંચોટ ગામ પાસે આચનક કાર પલટી હતી અને કાર રોડની બાજુમાં આવેલ તળાવમાં પડી હતી. જોકે, વહેલી સવારે બનેલ ઘટનાથી લોકો અજાણ હતા ત્યારે સવારે નવ વાગ્યાના સુમારે ગામ લોકોએ તળાવમાં પડેલ કાર જોતાં ગામ લોકોએ પોલીસને જાણ કરેલ ત્યારે પોલીસે કાર બહાર કાઢતા ત્રણેયની બોડી કારમાંથી મળી હતી.