મહેસાણાઃ પાંચોટ ગામ પાસે કાર તળાવમાં પલટી મારતા એક શિક્ષિકા સહિત ત્રણ શિક્ષકોના મોત થયા છે. મહેસાણાથી રાધનપુરના મોરવાડા ગામે નોકરી અર્થે જતાં દુર્ઘટના બની હતી. જેમાં ત્રણેયના મોત નીપજ્યા છે. મોતને પગલે પાંચોટ ગામમાં ભારે હાહાકાર મચી ગયો હતો અને લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


મહેસાણા જિલ્લાના ત્રણ શિક્ષકો આજે વહેલી સવારે મહેસાણાથી પાટણના રાધનપુર તાલુકાના મોરવાડા ગામે નોકરી અર્થે જતા હતા ત્યારે મહેસાણાના પાંચોટ ગામ પાસે અચાનક કારે પલ્ટી મારતા કાર રોડની સાઇટમાં આવેલ તળાવમાં ખાબકી હતી, જેના કારણે એક શિક્ષિકા અને બે શિક્ષક એમ ત્રણ લોકોના મોત થયા છે.

મૃતક આનંદ ચૌધરી

આજે વહેલી સવારે મહેસાણાના બાસણા ગામના વિપુલભાઈ ચૌધરી, મહેસાણાના મિતાબેન ચૌધરી અને વિસનગરના આનંદભાઈ શ્રીમાળી નોકરી અર્થે જવા નીકળ્યા હતા. આ ત્રણે શિક્ષકો સાથે પાટણના રાધનપુર તાલુકાનાં મોરવાડા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા. જેથી એક જ કારમાં ત્રણે સાથે જતાં મહેસાણાના પાંચોટ ગામ પાસે આચનક કાર પલટી હતી અને કાર રોડની બાજુમાં આવેલ તળાવમાં પડી હતી.

મૃતક વિપુલ ચૌધરી.

જોકે, વહેલી સવારે બનેલ ઘટનાથી લોકો અજાણ હતા ત્યારે સવારે નવ વાગ્યાના સુમારે ગામ લોકોએ તળાવમાં પડેલ કાર જોતાં ગામ લોકોએ પોલીસને જાણ કરેલ ત્યારે પોલીસે કાર બહાર કાઢતા ત્રણેયની બોડી કારમાંથી મળી હતી.