મહેસાણા:  ઊંઝામાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા એક પેઢીમાંથી 12 લાખની ભેળસેળ યુક્ત અખાદ્ય વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.  સમગ્ર કાર્યવાહીમાં કુલ બે નમુના લેવામાં આવેલ છે અને અખાદ્ય લીલો કલર સહિત વરીયાળીનો આશરે 12 ટન જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂપિયા 12 લાખ થી વધુ થાય છે, તે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
પેઢીના ભાડા કરાર મુજબ છેલ્લા 5 દિવસથી જ કાર્યરત કરવામાં આવેલ હતી અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના ખરીદ કે વેચાણ બિલ મળેલ નથી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડો. એચ. જી કોશિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 


કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.


તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
 
જે દરમિયાન ઊંઝા તાલુકામાં આવેલ “મે. શ્રી વિષ્ણુ ટ્રેડર્સ, મ્યુ સે. ન-૧/૧૦/૪૩, એસ. એલોન ની પાછળ, હાઈ વે રોડ, તા. ઊંઝા, જિ. મહેસાણા“ ખાતે તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ  પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં, તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં પેઢીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ ૨ (બે) નમુના, ૧) વરિયાળી (લુઝ) અને ૨) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવેલ. વધુમાં, બાકી રહેલ આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખ થી વધુ થવા જાય છે  તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. 


આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.