Mehsana News:  રાજ્યમાં બેફામ ગતિએ વાહનો દોડાવાના કારણે હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ઉંઝાના ઉનાવા ત્રિભોવન ફાર્મ પાસે અજાણ્યા વાહન ચાલકે એક વ્યકિતને ટક્કર મારી હતી. જેમાં તેનું મોત થયું હતું. ઉનાવા પોલિસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.


પાટનગર ગાંધીનગરમાં અકસ્માતના 2 અલગ બનાવમાં 2 લોકોના મોત નીપજ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં કારચાલકે બાળકને કચડ્યો હતો, જ્યારે કોલવડામાં યુવકનું મોત થયું હતું. બંને બનાવની પોલીસ ફરિયાદ નોંધવામા આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.


લાઠીના જાનબાઈ દેરડીના સીમ વિસ્તારમાં જમાઈએ દારૂ પીને બોલાચાલી કરતાં સસરાના માથામાં ફટકાર્યો લાકડાનો ધોકો ને પછી......


અમરેલીના લાઠી તાલુકાના જાનબાઈ દેરડીના સીમ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકનું મર્ડર થયું હોવાની ઘટના સામે આવી છે. દારૂ પીને બોલાચાલી કરતાં સસરાના માથામાં જમાઈએ લાકડાનો ધોકો માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજા થવા છતાં સસરાએ સારવાર લેવાની ના પાડતાં બીજા દિવસે તેમનું મોત થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.


લાઠીના જાનબાઈ દેરડીના સીમ વિસ્તારમાં મધ્યપ્રદેશના પ્રતાપભાઈ ચૌહાણ (ઉ.વ.45) પરિવાર સાથે રહીને મજૂરી કરતા હતા. ત્રણ દિવસ પહલા સસરા-જમાઈને રાતના સમયે બોલાચાલી થઈ હતી. સસરાએ દારૂ પીધો હોવાથી ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી કરતાં જમાઈએ સસરાને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. માથાના ભાગે લાકડાનો ધોકો વાગતા સસરાને ગંભીર ઈજા થઈ હતી. સસરાએ સારવાર લેવાની ના પડતા વહેલી સવારે મોતને ભેટ્યા હતા. જે બાદ મૃતકના પત્નીએ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસકાર્યોની ભેટ ધરશે.



  • વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે અને ભારત દેશ સરંક્ષણ સંસાધનો ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

  • વડાપ્રધાના બીજા દિવસના પ્રવાસની વાત કરીએ તો 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલશે. ત્યારબાદ બનાસકાંઠાના થરાદ ખાતેથી રુપિયા 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની જાહેરાત -ખાતમુહૂર્ત કરશે અને જનસભાને સંબોધશે.

  • વડાપ્રધાન 1લી ઓક્ટોબરના રોજ સવારે માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.