પાટણઃ ગઈ કાલે ઉંઝા-બાલીસણા રોડ પર આવેલા મહાદેવજી મંદિરના પાછળના ભાગે આવેલી ઝાડીમાંથી યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે તપાસ કરતાં આ લાશ ઉંઝામાં જમીન દલાલીનું કામ કરતા યુવકની હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવકની છરીથી ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


આ અંગેની વિગતો એવી છે કે, ઊંઝા તાલુકાના વરવાડા ગામના વતની અને ઊંઝા ખાતે રહી જમીન દલાલનો વ્યવસાય કરતાં વિષ્ણુજી ગલાજી ઠાકોર 10 નવેમ્બરે ઘરેથી કામથી બહાર જવાનું કહીને નીકળ્યા હતા. દરમિયાન ગઈ કાલે ગુરુવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની ગળું કાપેલી અને પીઠના ભાગે ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતા બાલીસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાઈક નંબરને આધારે તપાસ કરી પરિજનોનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સ સામે હત્યાને ગુનો નોંધ્યો છે.