ઇડરઃ સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરના રાણી તળાવ પાસે આવેલા પાવાપુરી જૈન મંદીરના બે મહારાજ સાહેબ દ્વારા મહિલા સાથે દુષ્કૃત્ય આચર્યુ હોવાના આક્ષેપોને લઇને ટ્રસ્ટીઓ દ્વારા ઠપકો કરવામાં આવતા બંને મહારાજ સાહેબ દ્વારા ટ્રસ્ટીઓને ધાકધમકીઓ આપી હતી. તો પોલીસે આક્ષેપોને લઇને તેની ફોટો અને વિડીયો ક્લીપ મેળવીને હવે મહારાજ સાહેબ સામેના આક્ષેપોના પણ સવાલોની પણ તપાસ હાથ ધરી છે.


સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરના રાણી તળાવ પાસે આવેલ પાવાપુરી જૈન મંદીર આમ તો જૈન સમાજમાં પ્રસિદ્ધ ધામ માનવામા આવે છે. પરંતુ હાલમાં આ પ્રસિદ્ધ પાવાપુરી ધામ વિવાદોમાં સપડાયુ છે. અહીં જૈન મંદીરમાં રહેતા બે જૈન મહારાજ પર આક્ષેપો ચિંધાયા છે અને મહારાજ દ્વારા એક મહિલાની સાથે દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ ટ્રસ્ટીઓને મળી હતી. આ બાબતની ફરિયાદ મહિલા અને તેના પતિએ જ ટ્રસ્ટી સમક્ષ કરતા આખરે ટ્રસ્ટી દ્વારા મહારાજને વાત કરી હતી.

જૈન મહારાજોએ આ મામલે પોતે નિર્દોષ હોવાની અને પોતાની પર ખોટા આળ નાંખવામાં આવતા હોવાને લઇને મામલાનુ સમાધાનકારી વલણ ટ્રસ્ટીઓ દ્વારા અપનાવાયુ હતુ. પરંતુ સમય જતા ફરી વાર આ વાત ઊભી થતા જ ટ્રસ્ટીઓ દ્વારા આકરું વલણ મહારાજ સામે દર્શાવ્યુ હતુ અને સમાજમાં ખોટી છાપ ઉભી થાય તે વાતને લઇને ઠપકો કર્યો હતો અને ઠપકો કરતા જ આખરે બંને મહારાજો એ ઉકળી ઉઠીને ટ્રસ્ટી ડો. આશીત દોષી અને અન્ય પોતાની સામે વાત લઇ આવનારા ટ્રસ્ટીઓને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી દીધી હતી અને મેલી વિદ્યા અને તાંત્રિક વિદ્યા દ્રારા પણ ટ્રસ્ટીઓને ખતમ કરી દેવાની ધમકી આપી હતી.

ગત ફેબ્રુઆરી માસથી ચાલી આવતી આ ઘટનાને લઇને મામલો અવાર-નવાર પોલીસ મથકે પહોંચતો હતો અને પોલીસ આખાય મામલે ફરિયાદ નોંધવા માટે યોગ્ય પુરાવાઓ શોધતી રહી, પરંતુ પોલીસે પણ ઢીલાશ દાખવતા રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ પહોંચ્યો હતો અને ઘટના અંગે વિડીયો અને ફોટા હોવાને લઇને સમાજને બદનામ કરતા બંને સાધુ મહારાજ સામે ફરિયાદ દાખલ કરી તપાસ કરવાની માગં કરાઇ હતી. આખરે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છુટતા જ પોલીસે બંને સાધુઓને નજર કેદ કરી દઇને ફરિયાદ દર્જ કરી છે.

એક તરફ સમાજને છાંટા ઉડે તેવા કૃત્યો કરવાને લઇને સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત ઉઠી રહ્યા હતા અને છેલ્લા છ માસ થી આ બાબતે વિવાદો ચાલી રહ્યા હોઇ પાવાપુરી જૈન મંદીર લોકોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ હતુ. આ અંગે વિવાદોનો નિવેડો લાવવા અને મામલાની યોગ્ય તપાસ કરવા માટે પણ જુદા જુદા આગેવાનો દ્વારા રજુઆતો પણ હાથ ધરાઇ હતી. આ દરમ્યાન જ હવે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છુટતા જ પોલીસે તપાસ નૌ દૌર શરુ કર્યો છે.

ટ્રસ્ટીઓને પીડીત મહિલા અને તેના પતિ દ્વારા પોતાની સાથે થયેલા અઘટીત પીડાના ફોટો અને વિડીયો પુરાવા રુપે આપેલા પુરાવા અને લેખીત લખાણોને પણ હવે પોલીસ સમક્ષ રજુ કર્યા છે. આક્ષેપો મુજબ મહિલાને મંત્ર વિદ્યા દ્રારા પરેશાન કરી મુકવાની અને ખતમ કરી દેવા જેવી ધમકીઓ વડે વશમાં કરી જૈન સાધુઓએ દુષ્કર્મ આચર્યુ હોવાના આક્ષેપો કરાયા હતા. પોલીસે પણ હવે ઘટનામાં સૌ પ્રથમ તો મહારાજો દ્વારા ટ્રસ્ટીઓને ધાક ધમકીઓ આપી હોવાની જ ફરિયાદ માત્ર દર્જ કરીને હવે મહિલાની પીડા અને ધમકીઓની તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા હવે જોકે મહીલાની સાથે કરાયેલા દુષ્કર્મની તપાસ કરાશે કે કેમ તે વાત નો સવાલ હાલ તો સમાજમાં પણ પ્રશ્ન સર્જી રહ્યો છે. કારણ કે પોલીસે ફરિયાદ અને તેની શરુઆત ધાક ધમકીની ઘટનાને લઇને કરાઇ છે. તો જૈન સમાજ દ્વારા પણ સમાજમાં આ પ્રકારના દુષણોને દુર કરવા માટે આવા આક્ષેપો જો સાચા હોય તો તેમને ધર્મ સ્થાનો પર પ્રભાવ છાંટતા દુર કરવા માટે લડી રહ્યા છે.