મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા છે. અનેક જિલ્લામાંથી લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાથી ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, જિલ્લામાં બે નવજાત જોડિયા બાળકોએ કોરોનાને મ્હાત આપી છે. નવજાત બાળકોએ કોરોનાને મ્હાત આપતાં ખુશીની લાગણી ફરી વળી છે.


મળતી વિગતો પ્રમાણે વડનગરના મોલિપુર ગામની કોરોનાગ્રસ્ત મહિલા દ્વારા જોડિયા બાળકોને જન્મ આપવામાં આવ્યો હતો. આ બંને બાળકોને પણ માતાની સાથે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પહેલા પુત્ર અને ત્યારબાદ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બંનેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બંને કોરોનાગ્રસ્ત જોડિયા નવજાત બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બંને નવજાત બાળકને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.