મહેસાણા: જોટાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મંજૂરી વિના મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. જોટાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશ માટે મીડિયાએ હવે પરવાનગી લેવી પડશે. આ અંગે જોટાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર બહાર મીડિયાને સૂચિત કરતી સૂચના લગાવવામાં આવી છે. તાલુકા મથકની નાની હોસ્પિટલમાં એવું તે શું છે કે મીડિયાને પ્રવેશબંધી કરવી પડીનો સવાલ ચર્ચાસ્પદ બન્યો છે.




આ પૂર્વે મહેસાણા સિવિલમાં પણ આવી નોટિસ લગાવાઈ હતી


પરવાનગી વગર મીડિયા પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશેની સૂચના લગાવવામાં આવતા લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે કે, હોસ્પિટલમાં એવું તે શું ચાલી રહ્યું છે જેનાથી મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પૂર્વે મહેસાણા સિવિલમાં પણ આવી નોટિસ લગાવાઈ હતી. હોસ્પિટલનું તંત્ર શું છુપાવવા માગે છે તે એક સવાલ?





વિવાદ વધતા બેનર હટાવાયું


મહેસાણાના જોટાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મીડિયાને ન પ્રવેશવાના લાગેલા બેનર એબીપી અસ્મિતાની ટીમ પોહચતાં આખરે બેનર હટાવાયું હતું. એબીપી અસ્મિતા સાથે વાત કરતા ડોકટરે કહ્યુ કે હવેથી આવા બેનર નહિ લગાવીએ. મહેસાણાના જોટાણના સામૂહિક આરોગ્ય ખાતે મંજૂરી વગર મિડિયાને ન પ્રવેશવાના બેનર લગાવામાં આવ્યાં હતા જેમાં લખવામાં આવ્યું હતું કે કોઈપણ મીડિયા કર્મચારીએ મંજૂરી વગર પ્રવેશ કરવો નહીં. નહીં તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ  બેનર લાગ્યા બાદ સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.


એબીપી અસ્મિતાની ટીમ પહોંચતા તત્કાલિક ધોરણે આ લખાણ હટાવી દેવાયું હતુ. જો કે મીડિયાને ન પ્રવેશવાના લખાણ લખનાર ડોક્ટરને એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું હતું કે, કેટલાક ડમી પત્રકારો અંદર આવતા હોવાના કારણે આ બેનર લગાવવામાં આવ્યું હતું. જો કે સવાલ એ થાય છે કે જો ડમી પત્રકાર આવતા હોય તો તેઓએ ઉલ્લેખ કરવો જોઈએ કે પત્રકારની ખોટી ઓળખ આપી કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અહીં તો મીડિયાના જ પ્રવેશ ઉપર પાબંદી લગાવી દીધી હતી. જોકે આખરે આ લખાણ હાલમાં હટાવાયું છે.