Mehsana News:  મહેસાણામાં ભાજપના એક નેતાએ આરોપ લગાવ્યો હતો કે સતલાસણામાં HDFC બેન્કના અધિકારી ખેડૂતોની લોન પાસ કરાવવાના બદલામાં કમિશન માંગે છે. સતલાસણાના ભાજપ પ્રમુખ વિનુભા ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે સતલાસણા ખાતે આવેલી HDFC બેન્કના લોન વિભાગના મેનેજર જયદીપ પટેલ લોન પાસ કરાવવાના બદલામાં ખેડૂતો પાસે 10 હજાર રૂપિયાનું કમિશન લે છે. જો ખેડૂતો કમિશન આપવાનો ઈનકાર કરે તો લોન પાસ કરતા નથી. સમગ્ર મામલે HDFC બેન્કના અધિકારીઓને સવાલ પૂછાતા તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.




વિનુભા ચૌહાણે વધુમાં કહ્યું હતું કે હું વિકસિત ભારત યાત્રા લઈ ગામડામાં ગયો ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ મને રજૂઆત કરી હતી જેને લઇ મેં બેન્કના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિતમાં આ મામલે ફરિયાદ કરી હતી. જો કે આ મુદ્દે બેન્કના મેનેજર તેમજ લોન વિભાગના મેનેજર જયદીપ પટેલને સવાલ કરાતા તેમણે કેમેરા સામે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.  જો કે સવાલ એ થાય છે કે એક તરફ ગુજરાત સરકાર ખેડૂતોને સસ્તી લોન અને પાક ધિરાણ આપવાની માટે નવી નવી યોજના લાવે છે ત્યારે બીજી તરફ આવા બેન્કના મેનેજરો ખેડૂતોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ખેડૂતો પાસે નાણાં પડાવી રહ્યા છે.


વિજાપુર ખાતેથી પકડાયેલા મરચાના સેમ્પલ ફાઈલ આવ્યા છે. વિજાપુરનાં મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. રેડ દરમિયાન હલકી ગુણવત્તાના મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.


સેમ્પલનો રિપોર્ટ આરોગ્યને હાનિકર્તા, અસુરક્ષિત હોવાનો અનસેફ આવ્યો છે. મરચાનાં ભેળસેળ મામલે મુકેશ મહેશ્વરી નામના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારીને ત્યાં પણ ભેળસેળ મામલે બે વખત દરોડા પડી ચૂક્યા છે.


રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો.  આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.