અંબાજીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી નવરાત્રિ પહેલા જ અંબાજી ખાતે ગરબા નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી અને અંબાજીમાં વધતા કેસોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ચાચર ચોકમાં આ વર્ષે ગરબા નહીં રમાય. ગુજરાતભરમાંથી માઇભક્તો નવરાત્રી દરમ્યાન અંબાજી આવતા હોય છે. નવરાત્રી દરમ્યાન દર્શન માટે તંત્રની વિચારણા ચાલું છે.


નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રિમાં કરાતા ગરબાનું આયોજન આ વખતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં ખોડલધામના ગરબા આ વર્ષે બંધ રહેશે. ખોડલધામ ગરબા આયોજન સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના અલગ અલગ 4 ઝોનમાં ખોડલધામના ગરબા થાય છે. આ વર્ષે નહીં યોજાય લેઉવા પાટોદારોના ગરબા. આખા રાજ્યના 25 ગરબા ખોડધામના થાય છે. છેલ્લા 10 વર્ષથી ખોડલધામ સમિતિ દ્વારા ગરબાના આયોજનો થાય છે.

આ ઉપરાંત રાજકોટની સૌથી પ્રાચીન ગરુડની ગરબી આ વર્ષે નહિ યોજાય. સરકાર શેરી ગરબાને છૂટ આપશે તો પણ નહીં યોજાય. શહેરના 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નહિ યોજાય ગરુડની ગરબી. કોરોનાના વાયરસના વધતા કહેરના કારણે આયોજકો દ્વારા નિર્ણય લેવાયો છે. નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી 30 હજાર જેટલા લોકો મુલાકાત લેતા હોય છે. રાજકોટની સૌથી પ્રાચીન ગરબી છે ગરુડની ગરબી.