હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાની હાજીપુર ગામની કેનાલમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં, એક તરફી પ્રેમીની હત્યાના ગુનામાં પોલીસે આરોપી અને બે મદદકગાર સહિત ત્રણની ધરપકડ કરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, હાજીપુર ગામનો 25 વર્ષીય યુવક પરિણીતાના એક તરફી પ્રેમમાં હતો. યુવક પરિણીતાને વારંવાર પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો. યુવકની હરકતોથી કંટાળી પરિણીતાએ પોતાના પતિને વાત કરી હતી. આથી પતિના કહેવા પ્રમાણે પરિણીતાએ યુવકને મળવા માટે ઘરે બોલાવ્યો હતો. યુવક ઘરે આવતાં પતિએ યુવકને ગળે ફાંસો આપીને હત્યા કરી નાંખી હતી.

યુવકની હત્યા કર્યા પછી લાશ હાજીપુરાની કેનાલમાં ફેંકી દીધી હતી. જોકે, કેનાલમાંથી લાશ મળી આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને તપાસમાં પરિણીતાના પ્રેમીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ગુનામાં પરિણીતાના પતિ અને અન્ય બે મદદગારી કરનારાની ધરપકડ કરવામાં આવી છે.