મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં પાટણ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં વધુ ચાર કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ કેસો મોડાસા શહેરના છે. દ્વારકાપુરી, નિત્યદર્શન, જનકપાર્ક, ગોવર્ધન ટાઉનશીપમાં કેસો સામે આવ્યા છે. જિલ્લામાં કુલ ૧૬૦ કોરોના કેસ નોંધાયા છે.


આજે પાટણ જિલ્લામાં વધુ 3 નવા કેસ આવતા ફફડાટ વધ્યો છે. અનલોક ખુલ્યા પછી હારીજમાં પ્રથમ કેસ નોંધાયા છે. હારીજ નાના ગણપતિ મંદિર પાસે 26 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. પાટણમાં કલ્પવૃક્ષ સોસાયટીમાં 32 વર્ષીય યુવક અને સારથી રેસિડેન્સીમાં 70 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણેય દર્દીને ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડયા છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 119 પર પહોંચી છે.

આજે સાબરકાંઠા જિલ્લામાં પણ વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તલોદના હરસોલમાં 55 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રાંતિજના વ્હોરવાડમાં 68 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 116 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી 89 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે. જિલ્લામાં અત્યાર સુધી છ લોકોના મોત થયા છે. તેમજ જિલ્લામાં હાલ 21 દર્દીઓ સારવાર હેઠળ છે.