વિસનગર: માતા-પિતા અને પુત્રીની હત્યાના આરોપી નાગજીજી બાબુજી ઠાકોરને વિસનગર સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજા ફટકારી છે. આરોપીની પત્નીને પિતા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાને આધારે આ હત્યા કરી હતી. આ અનૈતિક સંબંધની શંકામાં તેણે હત્યાકાંડ કર્યો હતો


ખેરાલુ તાલુકાના મલારપુરા ગામમાં રહેતા ઠાકોર નાગજીજી બાબુજીને તેની પત્ની દક્ષાની સાથે પિતા બાબુજી સાથે આડો સબંધ હોવાની શંકા હતી. આ અંગે માતા મંછીબેને તેને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા નાગજીએ 15 એપ્રિલ 2015ના રોજ રાત્રીના સમયે માતા મંછીબેન બાબુજીના માથાના ભાગે કુહાડી વડે હૂમલો કરી હત્યા કરી નાંખી હતી. આ પછી તેના પિતા બાબુજીની હત્યા પણ કુહાડી વડે હત્યા કરી નાંખી હતી. જ્યારે તેની 3 વર્ષની દિકરી તેમજ પત્ની દક્ષાબેન ઉપર હૂમલો કર્યો હતો, જેમાં દિકરીનું મોત નીપજ્યું હતું.

આ ગુનામાં ખેરાલુ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડીશનલ સેશન જજ પી.એસ.કાલાએ આરોપી નાગજીજીને હત્યાના ગુનામાં ફાંસીની સજાનો હૂકમ અને 500 રૂપિયાના દંડનો હૂકમ કર્યો હતો. આરોપી નાગજીજીને 235(2) અને ઇપીકો કલમ 302માં દેહાંતદંડ(ફાંસી) તથા 500 રૂપિયા દંડ, 235(3) અને 307માં 10 વર્ષની સજા અને એક હજાર દંડ, 235(2) 324માં ત્રણ વર્ષની કેદ અને 500 દંડ, 332ની કલમમાં બે વર્ષની કેદ અને 500 દંડ, 335માં 10 વર્ષની સજા અને 500 દંડ, 353માં 1 વર્ષ ની 100 રૂપિયા દંડનો હૂકમ કર્યો છે જે સજા એકી સાથે ભોગવવાની રહેશે.