Weather Forecast :Weather Forecast : હવામાન વિભાગ દ્વારા દેશના કેટલાક રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં આજે ભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગે આજે  કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સાથે ઓડિશા, છત્તીશગઢ, મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન છે.


ઝારખંડમાં 24 જુલાઇ સુધી ભારે વરસાદનું અનુમાન છે. બિહારના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. 21મી જુલાઈ સુધી ભારે વરસાદ માટે બિહારના  'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને 23મી જુલાઈ સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે.


ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગંગા અને યમુનાનું જળસ્તર વધી રહ્યું છે.  તો શારદાએ નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પુરનો ખતરો છે.  અયોધ્યા અને બારાબંકીમાં સરયુનું જળસ્તર વધી રહ્યું છે. આગામી ત્રણ દિવસમાં ચક્રવાત અને વરસાદને જોતા અનેક જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યું છે.


યમુના નદીનું પાણી આગરાના વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું કહેવું છે કે પાણીનું સ્તર વધવાને કારણે તાજમહેલને કોઈ ખતરો નથી. ઉલ્લેખનીય છે કે 1978 અને 2010માં જ યમુનાનું પાણી તાજમહેલની દિવાલ સુધી પહોંચ્યું હતું.


અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદનાકારણે યમુનાનું પાણીનું સ્તર 499 ફૂટના 'મધ્યમ પૂરના સ્તર'ને વટાવી ગયું છે. મંગળવારે અહીં પાણીનું સ્તર 499.97 ફૂટ પર પહોંચી ગયું, જેના કારણે પાણી તાજમહેલની દિવાલોની નજીક આવી ગયું અને સ્મારકની પાછળનો બગીચો ડૂબી ગયો. તાજમહેલના સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ મંગળવારે કહ્યું, "વર્ષ 2010 અને તે પહેલા 1978માં, યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું. 1978 ના પૂરમાં, પાણી સ્મારકના ભોંયરામાં રૂમમાં ઘૂસી ગયું હતું.સંરક્ષણ સહાયકે કહ્યું, “આ વર્ષે પણ તાજમહેલ સુધી પાણી પહોંચી ગયું છે, પરંતુ સ્મારકને કોઈ ખતરો નથી. તાજગંજ સ્મશાન અને પોયાઘાટ બંને સંપૂર્ણપણે ડૂબી ગયા છે. બીજી તરફ, પ્રાચીન દશેરા ઘાટ, એતમાદૌલાનો મકબરો, રામ બાગ, મહેતાબ બાગ, જોહરા બાગ, કાલા ગુંબડ જેવા વિસ્તારોમાં પૂરનો ભય તોળાઈ રહ્યો છે.